કંટેન્ટ પર જાઓ

ગુર્જરી ડાયજેસ્ટ અને કિશોરભાઈ દેસાઈ- સંકલન: રેખા સિંધલ

માર્ચ 1, 2009

ણપ્રદેશમાં તરસ્યાને કોઈ પરબ ચીંધે તેમ એક મિત્રએ મને અમેરીકામાં ઉપલબ્ધ ગુર્જરી ડાયજેસ્ટ વિષે માહિતી આપી. માતૃભૂમિને છોડી ત્યારે માતૃભાષા તો એની મેળે છૂટવા માંડશે એ ખબર ન હતી. અંગ્રેજીનો અને કોમપ્યુટરનો વ્યાપ એ સમયે(1988) મર્યાદિત હતો.  અંગ્રેજી વાંચનની ટેવ નહી અને ગુજરાતી વાંચન તો અમેરિકામાં ક્યાં શોધવુ?  ગુર્જરીનો પ્રથમ અંક હાથમાં આવતા સ્વદેશથી સ્નેહીનો પત્ર મળતા થાય તેવો આનંદ થયો. આ ત્રૈમાસિક નિયમિત રીતે એકવીસ વર્ષોથી  મારા જેવા અનેક માટે પરબ બની બની રહ્યુ છે.  

 aadiltitle  kishor-desai

 

ગુજરાતી વાંચવું અને લખવું જ્યાં મુશ્કેલ છે તે ડોલરીયા દેશમાં છાપવુ અને ફેલાવવું એ તો નેવાના પાણી મોભે ચઢાવવા જેટલું મુશ્કેલ કાર્ય. આ કાર્ય કરનાર કિશોરભાઈ દેસાઈ અને આ ગુજરાતી ડાયજેસ્ટના સંપાદન વિષે અત્રે જાણીએ. 

1938ની સાલમાં જન્મેલા કિશોરભાઈ દેસાઈનું મૂળ વતન વાપી (ગુજરાત). પ્રાથમિક શિક્ષણ વાપીમાં લીધા બાદ મુંબઈ આવ્યા. ત્યાં માધ્યમિક અને કોલેજનું શિક્ષણ લઈ  વડોદરાની એમ. એસ. યુનીવર્સીટીમાં ઈલેક્ટ્રીકલ અને મિકેનીકલ એંજિનીયરીંગમાં દાખલ થયા અને B.E. ની ડીગ્રી મેળવી. આ જ ગાળામાં હંસાબેન સાથે લગ્ન થયાં. ફરી મુંબઈ આવી મિકેનીકલ ઈંજિનીયરીંગમાં માસ્ટરની ડીગ્રી મેળવવાની સાથે સાથે ભારતીય વિદ્યાભવનની એંજિનીયરીંગ કોલેજમાં અધ્યાપક તરીકે પણ કામ કર્યું.  

1971માં અમેરીકા સ્થળાંતર કરીને પેન્સિલવેનીયા સ્થાયી થયા. ફિલાડેલ્ફીયા ગીયર કોર્પોરેશનમાં સીનીયર મિકેનીકલ ડીઝાઈન એંજિનીયર તરીકે 30 વર્ષો કામ કરી 2008માં રીટાયર્ડ થયા. 

ત્રણ પુત્રીઓ પારૂ, રૂપા અને અમિતામાંથી સૌથી નાની અમિતાના લગ્ન એપ્રીલ 2009માં છે .પારૂ એના પતિ ઝીઆ અને બે દીકરીઓ સનમ અને સાયરા તેમ જ રૂપા તેના પતિ રોબર્ટ અને બે સંતાનો Raina અને Ryan સાથે કિલ્લોલ કરે છે. ધર્મ અને રંગભેદની સીમાઓ ઓળંગીને વીસ્તરતો એમનો પરિવાર હ્રદયની વિશાળતા દર્શાવે છે.

એમની કર્મનિષ્ઠા અને લગન તો ગુર્જરી થકી સ્પષ્ટ દેખાય છે. અને માતૃભાષા પ્રત્યે પ્રેમ અને શ્રધ્ધા ન હોત તો “ગુર્જરી” સામાયિકની શરૂઆત જ ન થઈ હોત. ગુર્જરી થકી કિશોરભાઈએ મારા જેવા કેટલાયની કલમમાંથી સમયાતંરે ટપકતી શાહીને સૂકાવા નથી દીધી. કિશોરભાઈને વાંચન સાથે પ્રવાસ અને અંગ્રેજી તથા હિન્દી ફિલ્મોનો શોખ પણ છે. 

ગુર્જરી ડાયજેસ્ટ વિષે કિશોરભાઈના શબ્દોમાં : 

ગુર્જરી ડાયજેસ્ટનો આરંભ 1988માં થયો. જાન્યુઆરી 31, 1988ના રોજ પ્રથમ અંક પ્રગટ થયો. સ્વ. કવિ શ્રી આદિલની સ્મૃતિમાં જાન્યુઆરી-2009નો પ્રથમ અંક બહાર પડી ચૂક્યો છે ત્યારે ‘ગુર્જરી ડાયજેસ્ટ” એના પ્રકાશનના બાવીસ (22)માં વર્ષમાં પ્રવેશ કરે છે. 

હું પોતે કોઈ સાહિત્યકાર નથી, લેખક, કવિ કે વાર્તાકાર નથી. વ્યવસાયે હું એંજિનીયર છું બાવીસ વર્ષ પહેલાં એવું લાગેલુ કે અહીં અમેરીકામાં એક નાનો વર્ગ છે – ગુજરાતીઓનો – જેઓ માતૃભાષામાં લખાયેલુ વાંચવા માટે ઉત્સુક છે. એવા પણ કેટલાક છે જેને માતૃભાષામાં લખવુ છે એટલે કે સાહિત્ય સર્જન કરવુ છે પણ એમને માટે કોઈ પ્લેટફોર્મ નથી. આમ બે હેતુથી આ સામાયિક કાઢવાનો વિચાર કરેલો. એક અહીં વસતા ગુજરાતીઓને સાહિત્ય સર્જન માટે પ્લેટફોર્મ આપી પ્રોત્સાહન આપવું અને બીજું ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને એમની સમક્ષ રજૂ કરવું અને સાથે સાથે ભારતના સાહિત્યકારો અને પુસ્તકોનો અહીંના વાચકોને પરિચય કરાવવો. 

ગુજરાતી સામયિક અહીં વેપારી ધોરણે ચાલી જ ન શકે એવી ત્યારે ઘણા મિત્રોની સલાહ હતી અને સાચી જ હતી. એ ખ્યાલમાં રાખી બીનવ્યાપારી ધોરણે non profit સંસ્થા બનાવી અમે આરંભ કર્યો. એમાં મારી પત્ની અને બાળકોનો સહકાર રહ્યો એટલે કામ સરળ થયું બાકી સામયિક પ્રકાશનનું આ કામ થકવી નાખે તેવું છે. પ્રકાશન સંબંધી બધા જ કામ જાતે કરવાના અને તે ય રોજી રળતા. એકવીસ વર્ષમાં પરિશ્રમ અને કષ્ટ ઘણાં પડ્યાં પણ સાથે આંતરિક આનંદ પણ આવ્યો. 

આ સામયિકથી ઘણી કલમોને પ્રોત્સાહન મળ્યું છે. અને અહીંના સાહિત્ય સર્જનમાં ગુર્જરીનો ફાળો રહ્યો છે એમ હું માનું છું. ઘણા વાંચકો સામયિક બાબત ઉત્સાહભર્યો પ્રતિભાવ આપે છે એ પણ સંતોષ આપનારી વાત છે. “ગુર્જરી ડાયજેસ્ટ” ત્રૈમાસિક હોય વર્ષમાં ચાર વખત પ્રગટ થાય છે. લવાજમના દર ત્રણ વર્ષના 50 ડોલર, પાંચ વર્ષના 75 ડોલર અને આજીવન 150. ડોલર. આ કામ જાતે જ કરવાનું હોય manpowerના અભાવે વાર્ષિક લવાજમની પ્રથા રાખી નથી. છતાં કોઈનો આગ્રહ હોય તો 20 ડોલર માં વાર્ષિક લવાજમ ભરી શકે. હાલ લગભગ 600 થી 650 ગ્રાહકો છે. જેમાં પાંચસો જેટલા આજીવન સભ્યોનો સમાવેશ થાય છે. હવે તો અહીં ગુજરાતીમાં ઘણું લખાય છે, છપાય છે અને કમ્પ્યુટર યુગમાં કેટલાય blog ઉપલબ્ધ છે. આ જાણીને આનંદ થાય છે. આ જાતની પ્રવૃતિ કરનારાઓની ભાવના પોતાની માતૃભાષા ગુજરાતી પ્રત્યેનું ઋણ અદા કરવાની જ હોય છે અને બધા નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી આ પ્રવૃતિઓ કરી રહ્યા છે એમ હું માનું છું. 

જરાતી ભાષાના ટકવા વિશે ભારતમાં તથા અહીં ઘણા લોકો શંકા સેવે છે પણ હું દ્દઢપણે માનુ છું કે જ્યાં સુધી ગુજરાત છે, ગુજરાતી પ્રજા છે અને દેશ પરદેશમાં રહી ગુજરાતી ભાષાનું જતન કરનારા ભાષાપ્રેમીઓ છે ત્યાં સુધી ગુજરાતી ભાષા ટકશે જ. 

“ગુર્જરી ડાયજેસ્ટ” વિશે વધુ માહિતી:

     સંપાદક/પ્રકાશક: કિશોર દેસાઈ

     સંપર્ક: Gurjari Publication, Inc.

                130 Lattice Lane, Collegeville, PA 19426

                 Phone: 610 – 454 – 7803

                 Email: gurjaridigest@gmail.com 

             સંકલન: રેખા સિંધલ

No comments yet

Leave a comment