Skip to content

“મોરપીંછ”-હિના પારેખ.“મનમૌજી”

February 23, 2009
હિનાબેન સાથે કોમ્પ્યુટર ઉપર વાતો હું કરતો અને તે વાતચીત દરમ્યાન “મનમૌજી” તખલ્લુસની વાત કરી. બ્લોગર તરીકે તેઓ સારી કૃતિનું ચયન કરતા અને તે વાંચવાની મઝા પડતી.મારો એક પ્રશ્ન તેમને જરા મનથી વધુ ગુંચવી ગયો.. અને તે એ કે જ્યારે તમે આટલુ બધુ વાંચ્યું છે સાહિત્યને તમે માણ્યું છે તો સર્જનની દિશા કેમ હજી નથી લીધી? તો તેમનો ઉત્તર બહુ સરસ હતો..બ્લોગ તેને માટે જ શરુ કર્યો છે પણ હજી સર્જન શરુ કરતા થોડોક ખચકાટ થાય છે. મેં કહ્યું તરવાની બધી પ્રેક્ટીસ કરી હજાર જેટલા પુસ્તકો વાંચ્યા અને… ત્યાંજ મારી વાત કાપતા તે બોલ્યા હા જંપીંગ બોર્ડ પર ઉભી છું ને ને કોઇ ધક્કો મારે તેની રાહ જોઉં છું…થોડીક ક્ષણની ખામોશી બાદ તે બોલ્યા હું ગોવા-શીરડીનાં પ્રવાસની ડાયરી મુકીશ. મેં હસતાં હસતાં એમને અભિનંદન આપ્યા..ચાલો ગુજરાતીને એક વધુ લેખીકા મળી. 

 heena8

મારું નામ હિના પારેખ. હું દક્ષિણ ગુજરાતના વલસાડમાં રહું છું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં બી.કોમ. અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન જર્નાલિઝમની ડિગ્રી મેળવી છે. અને પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો છે. સાહિત્ય પ્રત્યેની રુચિ માટે હું મારા મમ્મી-પપ્પા અને મારી મોટીબેન પ્રીતિની આભારી છું. આ ત્રણેના કારણે મને પુસ્તકો વાંચવાની ટેવ પડી અને એમ કરતાં સાહિત્યમાં રસ પડ્યો. લાઈબ્રેરીના મોટેભાગના પુસ્તકો મેં એકથી વધારે વખત વાંચ્યા હતા. જ્યારથી મેં નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી પુસ્તકો ખરીદીને જ વાંચવાની ટેવ પડી છે. હાલમાં મારી અંગત લાઈબ્રેરીમાં લગભગ ૧૦૦૦ પુસ્તકો છે.

 

સાહિત્યના શોખની સમાંતર જ મારી અધ્યાત્મ પ્રત્યેની રુચિ પણ વિકસતી રહી છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ તો હતું જ. સાથે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ હતું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ, પૂ. માતાજી, ઓશો, સ્વામી યોગાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતીજી(કોઈમ્બતુર), સ્વામી વિદિતાત્માનંદજી(અમદાવાદ), દિલીપકુમાર રોય વગેરે જેવા આર્ષદ્રષ્ટાઓને વાંચવાનું થયું છે. સ્વામી દયાનંદ સરસ્વતી(કોઈમ્બતુર)ના શિષ્યા સ્વામીની સદવિદ્યાનંદાજી પાસે વેદાંતને શ્રવણ કરવાનો મોકો પણ મળ્યો છે. રાધાવલ્લભ સંપ્રદાયના પૂ. ડો. સરલા ગોસ્વામી પાસે મેં મંત્રદિક્ષા લીધી છે. વખતોવખત ઓશોની ધ્યાન શિબિર પણ કરું છું. ટી.વી.ના માધ્યમ દ્વારા પૂ. મોરારીબાપુ અને પૂ. આનંદમૂર્તિ માને સાંભળવાનું મને ગમે છે.

 

સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. દિવ્યભાસ્કરમાં આવતી હિમાંશુ કીકાણીની સાયબર સફર કોલમ દ્વારા ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……

ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ

ને ગમતાંનો કરીએ ગુલાલ

(મકરન્દ દવે)

 

શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com)ના માર્ગદર્શન દ્વારા Unicodeથી ગુજરાતીમાં ટાઈપ કરતાં શીખી. અને ગમતાંનો ગુલાલ કરવા માટે જૂન ૧૦, ૨૦૦૮ના રોજ મારા બ્લોગ મોરપીંછ (www.heenaparekh.wordpress.com અને www.parekhheena.blogspot.com) ની શરૂઆત થઈ. હાલના તબક્કે રોજ એક કવિતા પોસ્ટ કરવાનો નિયમ રાખ્યો છે. સાહિત્યના બીજા સ્વરૂપોને ક્રમશ: સ્થાન આપવા માટે ભવિષ્યમાં પ્રયત્ન કરીશ. બ્લોગ પર રોજ એક કવિતા મૂકવાના કારણે મને રોજ કવિતા માણવાની તક મળી છે તેનો આનંદ અવર્ણનીય છે.  

 

મોબાઈલ મેસેજનો પણ ઘણો મોટો સંગ્રહ હોવાથી બીજા બ્લોગ મોબાઈલ મેસેજ (www.parekheena.wordpress.com) ની પણ શરૂઆત કરી છે. પણ એ બ્લોગ પર હું નિયમિત રીતે પોસ્ટ કરતી નથી.

 

બ્લોગ વાંચીને મિત્રો પ્રતિભાવ આપે તો સારું લાગે છે. એનાથી એ જાણવા મળે છે કે બ્લોગ દ્વારા કેટલા મિત્રો સાહિત્યના સંપર્કમાં છે. બાકી, કવિતા અંગેનો પ્રતિભાવ તો જે તે કૃતિના સર્જકને અર્પણ છે. કારણ કે હું તો માત્ર કવિતાને બ્લોગ પર મૂકી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું જ કામ કરું છું. પ્રશંસાના સાચા હકદાર તો મૂળ સર્જકો જ છે.

 

મારા સાહિત્ય સર્જન વિશે જણાવું તો થોડી કવિતા અને નવલિકાઓ લખી હતી. અને એમાંથી કેટલીક વિવિધ સામાયિકોમાં પ્રકાશિત પણ થઈ હતી. ગુજરાતી સામાયિક પારિજાત (જે પછી મનાંકન ના નામે ઓળખાયું અને હાલ બંધ છે)માં એક વર્ષ સુધી પત્રમૈત્રી આધારીત મૈત્રીની મહેક કોલમ મેં સંભાળી હતી. ડો. ગોપાલ શર્મા સહરલિખિત, હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક તિનકા તિનકા સપને નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. કોઈ કારણસર પુસ્તક હજુ અપ્રકાશ્ય છે.

 

હાલ ઘણાં સમયથી કંઈ મૌલિક સર્જન થયું નથી. કુન્દનિકા કાપડિઆએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે લખવું-એ હંમેશા મને બીજી કોટીની-સેકન્ડરી વસ્તુ લાગી છે. પહેલી કોટીની વસ્તુ છે : જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે. સર્જન બાબતે હું પણ કંઈક આવું જ અનુભવું છું. ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેના વિશે લખી શકાય. પણ તેની મને અનુભૂતિ થવી, તે વાત મારા હ્રદય સુધી પહોંચવી અને સમવેદના અનુભવવી એ મારા માટે વધારે અગત્યનું છે. લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી. કોઈની ફરમાઈશ પર હું કંઈ પણ લખી શકતી નથી. એ માટે કદાચ મારો મૂડી સ્વભાવ પણ જવાબદાર છે. તેથી જ મેં મારું ઉપનામ મનમૌજી રાખ્યું છે.

 

વાંચન અને લેખન સિવાય મારા અન્ય શોખ સંગીત સાંભળવું, પત્રમૈત્રી, પ્રવાસ, કુદરતી સૌંદર્યને માણવું, ફોટોગ્રાફી, નેટ સર્ફિંગ અને રેકી છે. રેકીમાં હું સેકન્ડ ડિગ્રી સુધી શીખી છું.

 

ટૂંકમાં કહું તો..

અધ્યાત્મ મારું મૂળ છે,

 પુસ્તકો મારા શ્રેષ્ઠ મિત્ર છે,

અને…સાહિત્ય મારું જીવન છે.

 

 મારા બ્લોગની મુલાકાત લેનાર અને મારા ઉત્સાહને વધારનાર તમામ બ્લોગર મિત્રો તથા અન્ય વાચક મિત્રોનો પણ આ તબક્કે હું ખાસ આભાર માનું છું. 

 

હિના પારેખ મનમૌજી

heena.m.parekh@gmail.com

7 Comments leave one →
  1. February 23, 2009 7:55 am

    અરે વાહ!, હીના બેન વિશે આ બધી વાતો ખબર જ ન હતી…..

    આપની વાતો સાથે હું પૂર્ણપણે સંમત છું, “લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ” વાળી વાત મને ખૂબ ગમી……

    આપના બ્લોગની મુલાકાત લેવું ગમે છે, ક્યાંક આડંબર વગરનું થોડુંક પણ મળે તો માણી લેવું જોઈએ એ આપના બ્લોગને જોઈને અચૂક થઈ આવે….

    આશા છે આપ આમ જ ગુજરાતી ભાષા સમૃધ્ધિ માં યોગદાન કરતા રહેશો…

  2. February 24, 2009 5:11 am

    sundar .. !! :)

  3. February 25, 2009 5:07 pm

    જય ગુરૂદેવ,

    “ગુજરાતી સાહિત્ય સંગમ” માં આપના વિશેની વિશેષ માહિતી
    જાણવા મળેલ.

    તમને આ શુભકાર્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

    My blogs :

    http://gaytrignanmandir.wordpress.com/
    http://karshalakg.wordpress.com/

  4. March 9, 2009 6:43 am

    ગુજરાતી બ્લોગર્સ માં આવા જુજ લોકો હોય છે જેઓનો પરિચય અન્ય બ્લોગર્સને કરાવીને એક જાતની “સેવા” કરી શકાય.

  5. kalpana permalink
    April 20, 2009 7:32 am

    well done

  6. Vijay K Shah permalink
    January 29, 2010 10:31 am

    Hari- OM

    Aap no Blog vanchi ne ghano anand thayo.

    Adhyatma ma khub ras chhe te jani ne pan anand thayo.

    Vijay K Shah

  7. Keyur C Joshi permalink
    August 24, 2011 5:15 pm

    હિના બેન,
    ખુબ ખુબ આનંદ થયો તમને વાંચીને. મારો બ્લોગ : http://hukonchu.blogspot.com, ખાસ કઈ ઉકાળ્યું નથી પણ છતાં એકાદ પોસ્ટ તમને કદાચ ગમે પણ ખરી. હું પણ વલસાડ માં જ મોટો થયો છું અને વલસાડ થી મને ઘણો લગાવ છે. વલસાડ ની હવા, વલસાડ નો વરસાદ, તીથલ નો દરિયો બહુ જ મિસ કરું છું.
    બ્લોગ નું દુનિયા માં નવો સવો છું. ઘણું ડાયરી લેખન કર્યું છે કોલેજ સુધી. કોલેજ પછી પૈસા કમાવા ની લહાય માં સાહિત્ય રસ સુકાઈ ગયો હતો. પણ હમણાં થોડાક મહિનાઓ થી અમુક ખાસ ઘટનાઓ ને કારણે આ ઝરણું પાછુ વેહવા લાગ્યું છે. લખવા ની લહાય માં જીવવા નું ના છૂટવું જોઈએ , કરોડ રૂપિયા ની વાત છે. મળ્યા કરીશું આમજ શબ્દ દેહે. ત્યાં સુધી jay shri કૃષ્ણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.